રશિયાની નદીમાં 4 ભારતીય વિદ્યાર્થીઓ ડૂબ્યા: વોલ્ખોવ નદીમાં ડૂબેલા એકને બચાવા જતા જલગાંવના ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા, વિદ્યાર્થીઓના મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યા
- 08 Jun, 2024
રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાના કારણે મોત થયા છે. રશિયાના સત્તાવાળાઓએ વોલ્ખોવ નદીમાં ડૂબી ગયેલા ચારેય ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢી લીધા છે. આ ઘટના અંગે વાત કરતા જલગાંવના કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું કે 4 જૂને રશિયામાં ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા હતા. જોકે ઘટનાના બે દિવસ પછી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના અંગે વાત કરતા રશિયન અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે.
એજન્સી અનુસાર, રશિયન અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના મૃતદેહને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. બાદમાં તેમને જલગાંવમાં વિદ્યાર્થીઓના વતન લઈ જવામાં આવશે. જલગાંવ કલેકટરે જણાવ્યું હતું કે ડૂબી ગયેલા વિદ્યાર્થીઓમાં હર્ષલ અનંતરાવ દેસલે, જીશાન અશપાક પિંજરી, ઝિયા ફિરોઝ પિંજરી અને મલિક ગુલામગૌસ મોહમ્મદ યાકુબનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય વિદ્યાર્થી નિશા ભૂપેશ સોનવણેનો આબાદ બચાવ થયો હતો. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ તમામની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હતી.
આ વિદ્યાર્થીઓએ રશિયાની યારોસ્લાવ-ધ-વાઇઝ નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ઘટના અંગે યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વોલ્ખોવ નદીના કિનારે ચાલી રહ્યા હતા ત્યારે તેઓ પાણીમાં પડ્યા હતા. એક વિદ્યાર્થીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે જીશાન પિંજરી તેના માતા-પિતા સાથે વીડિયો કોલ પર હતો ત્યારે તે અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા હતા.
પરિવારના એક સભ્યએ જણાવ્યું કે જ્યારે તેઓ વોલ્ખોવ નદીમાં ઉતર્યા ત્યારે જીશાને તેના પરિવારને વીડિયો કોલ કર્યો હતો. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો જીશાન અને અન્ય લોકોને પાણીમાંથી બહાર આવવા કહેતા હતા, ત્યારે જોરદાર મોજું આવ્યું, જેમાં બધા જ વહી ગયા.
જીશાન પિંજરી અને જિયા પિંજરી ભાઈ અને બહેન હતા. તે જલગાંવ જિલ્લાના અમલનેરનો રહેવાસી હતો. હર્ષલ અનંતરાવ દેસલે જલગાંવ જિલ્લાના ભડગાંવનો રહેવાસી હતો. યારોસ્લાવ-ધ-વાઇઝ નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીના વહીવટીતંત્રે રશિયામાં ભારતીય દૂતાવાસને મોકલેલા સંદેશામાં શોક વ્યક્ત કર્યો છે.